Thursday, January 19, 2012

મુઠ્ઠી

આપણા શરીરમાં ભગવાને કેટલાક અવયવો
એકની સંખ્યામાં આપવાને બદલે બે ની સંખ્યામાં આપેલ છે,
જે કાંઈ બે બે અવયવો આપેલ છે તેની પાછળ
ભગવાને આપણને આપેલી ક્ષમતા ઉપરાંત કોઈ ને કોઈ સંદેશ છુપાયેલો છે.
આ બધી બાબતો થકી
ભગવાને આપણને બહુજ સરસ સંદેશ આપવાનુ કામ કર્યું છે.
જે તે અવયવોની ક્ષમતા અને સંદેશ સમજવા જેવા છે.
આપણને આંખ બે આપી છે,
જેથી જોવાની આપણી ક્ષમતામાં વધારો થવાથી આંખો વિશાળ રીતે જોઈ શકે છે.
સાથોસાથ આપણને બે પ્રકારની દ્રષ્ટિ મળે છે.
શું સારૂ અને શું નરસુ પારખવાની દ્રષ્ટિ.
એક કાન હોય તો પણ સાંભળી શકાય છે
પરંતુ કાન બે આપેલા છે તે એટલા માટે કે
કેટલીક વાતો આપણે સાંચવવા જેવી હોતી નથી
એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવા જેવી હોય છે.
જીવનનુ પણ એવું જ છે દુખદાયક બાબતો સાંચવવાની હોતી નથી.
શ્વાસ લેવા માટે નાક એકજ આપેલ છે
જેને આપણે આબરૂ સાથે સરખાવીએ છીએ
પરંતુ તે નાક વાટે શ્વાસ લેવા માટે છીદ્રો બે આપેલ છે.
આપણે કાયમ એક સરખી રીતે સુઈ શકતા નથી.
એક પડખે સુઈએ તો કોઈ કારણસર તે બાજુનુ છીદ્ર બ્લોક થઈ જાય
તો બીજા છીદ્ર વાટે આપણો શ્વાસ ચાલુ રહી શકે છે.
એટલેકે જીવનમા આશા રૂપી કોઈ એક માર્ગ બ્લોક થઈ જાય તો ગભરાવુ નહી,
બીજો માર્ગ મળી શકે છે.
કીડની બે આપી છે જેથી સમગ્ર શરીરનુ લોહી ઝડપથી,
સારી રીતે અને સરળતાથી શુધ્ધ કરવાની પ્રક્રિયા ક્યારેય ખોરમ્ભાય નહી.
પગ બે આપેલા છે જેથી આપણા શરીરનુ બેલેન્સ જળવાઈ રહે
અને આપણી ચાલવાની કે દોડવાની
ક્ષમતાને કોઈ વિપરીત અસર પહોંચે નહી.
મગજ પણ બે આપેલ છે નાનુ મગજ અને મોટુ મગજ.
બન્નેના કાર્યો અલગ અલગ પ્રકારના છે.
આપણે દરેક કામગીરીઓ
સરળતાથી અને સારી રીતે કરી શકીએ તેથી હાથ બે આપેલા છે.
હાથને આપેલા પંજો આંગળીઓ અને અંગુઠાની તો વાત જ ન્યારી છે.
જો આપણે પંજાને આંગળીઓ અને અંગુઠાથી વાળી દઈએ
એટલે કે બંધ કરી દઈએ તો તેને મુઠ્ઠી કહેવાય છે.
જીવન જીવવા માટે આ મુઠ્ઠી થકી ભગવાને
આપણને જે ક્ષમતા અને સંદેશ આપેલો છે
તે બાબતે કદાચ આપણે વિચાર કરતા હોતા નથી.
હા, આપણને મુઠ્ઠીની ક્ષમતા બાબતે એટલી ખબર છે કે
બંધ મુઠ્ઠી થકી આપણે કોઈને જોરદાર માર આપી શકીએ છીએ.
પરંતુ મુઠ્ઠી થકી ભગવાને આપણને એક દીવ્ય સંદેશ આપેલો છે
જેને કદાચ આપણે અવગણતા હોઈએ છીએ.
જો મુઠ્ઠી બંધ રાખીએ તો ચીજ વસ્તુના આદાન પ્રદાન માટે
આપણા હાથના તે અગત્યના ભાગનો ઉપયોગ કરી શકતા નથી.
લોકોનુ એક માનસ સમજવા જેવુ હોય છે
કેટલાક લોકો તેઓની મુઠ્ઠી ક્યારેય બંધ કરતા હોતા નથી,
પરંતુ મોટે ભાગે લોકો પોતાની મુઠ્ઠી બંધ જ રાખતા જોવામા આવે છે.
જો આપણે મુઠ્ઠી બંધ રાખીએ તો આપણને ત્યાં હવા મળી શકતી નથી.
આપણને ખબર છે કે હવા મળી શકે નહી
તો શ્વાસ લેવા માટે અનુભવાતી તકલીફને કારણે
આપણા જીવન ઉપર ખતરો આવી શકે છે.
સંદેશ સાવ સ્પષ્ટ છે કે બીજાને ઉપયોગી થવા માટેની
આપણી દાનત કે લાગણી રૂપી મુઠ્ઠી બંધ રાખવાથી
જેમ આપણે અન્યને ઉપયોગી થઈ શકતા નથી
તેવીજ રીતે લોકો પણ આપણને ઉપયોગી થવાની બાબતને ટાળે છે.
જે આપણા જીવન માટે મુશ્કેલી સર્જી શકે છે.
મુઠ્ઠી બંધ રાખીએ તો વરસાદનુ પાણી ત્યાં ભીંજવી શક્તુ નથી,
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે
લોકોની લાગણી અને જરૂરીયાત આપણને ભીંજવી શક્તુ નથી,
આપણે લોકોને ઉપયોગી થઈ શકતા નથી
પરીણામે લોકો પણ આપણને ઉપયોગી થવાનુ ટાળે છે
જે પણ આપણા જીવનમા કેટલીક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
મુઠ્ઠી બંધ રાખવાથી હથેળીને સુર્ય પ્રકાશ અનુભવાતો નથી,
હથેળી સુર્ય પ્રકાશ વગરની રહે છે.
આપણે જાણીએ છીએ કે સુર્ય પ્રકાશની ગેરહાજરી
વનસ્પતિ અને સજીવો ઉપર ખતરા રૂપ છે.
આપણામાં રહેલુ જ્ઞાન કે આપણી પાસેની કેટલીક માહિતિઓ
સુર્ય પ્રકાશ જેવું જ કામ આપી શકે છે.
જો આપણુ જ્ઞાન કે માહિતિઓ રૂપી મુઠ્ઠી બંધ રાખીએ
એટલેકે અન્યના સારા કામ માટે આપણે ઓફર કરી શકીએ નહી
તો આપણને પણ અન્ય પાસેના જ્ઞાન કે માહિતિઓ મળી શકતી નથી,
કહેવત છે ને કે જેવી કરણી તેવી ભરણી.
લોકોને આપણે આપણા જ્ઞાન કે માહિતિ રૂપી
સુર્ય પ્રકાશથી વંચિત રાખીએ તો લોકો પણ
આપણા માટે તેવુજ વર્તન કરવાના છે,
જે પણ આપણા જીવનમા મુશ્કેલીઓ સર્જી શકે છે.
અને છેલ્લે એક વાત
આપણે આપણી મુઠ્ઠી કાયમ ખુલ્લી જ રાખવી જોઈએ.
ક્યારેય બંધ રાખવી જોઈએ નહી.
આપણુ જ્ઞાન, આવડત આપણી પાસે રહેલી કેટલીક માહિતિઓ,
લોકોના સારા કામ માટે વાપરવી જોઈએ, ઓફર કરવી જોઈએ.
જેથી કરીને ભગવાને આપેલા એ દિવ્ય સંદેશ રૂપી સદગુણથી
અને તેના સદુપયોગથી
જીવનમા ક્યારેય આપણે મુશ્કેલીઓ અનુભવવી પડે નહી.

No comments:

Post a Comment